ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં માનવતા અને શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક 63 વર્ષીય નરાધમ શિક્ષકે પોતાની પાસે ટ્યુશનમાં આવતી માત્ર 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડ્યું છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી નરાધમ શિક્ષકની ધરપકડ કરી લીધી છે.


13 વર્ષની સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

અંકલેશ્વરના એક ગામમાં રહેતો 63 વર્ષીય ધનંજયસિંહ રામઅવતાર સિંહ છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘરે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. તે 13 વર્ષની માસૂમ સગીરાને દર રવિવારે 'એક્સ્ટ્રા ક્લાસ' લેવાના બહાને પોતાના ઘરે એકલી બોલાવતો હતો. જ્યારે ઘરે કોઈ ન હોય ત્યારે આ નરાધમ શિક્ષક સગીરા પર દુષ્કર્મ આચરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરા સાથે બનેલી આ ઘટનાની જાણ પરિવારને થતા જ તેઓએ હિંમત દાખવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી ધનંજયસિંહને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. ભરૂચ પોલીસે વાલીઓને પણ પોતાના બાળકોની સુરક્ષા બાબતે સતર્ક રહેવા અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: