ભરૂચના દહેજ દરિયા કિનારે આજે કુદરત અને માનવીય સંવેદનાનો સુમેળ જોવા મળ્યો હતો. દરિયામાં ઓટ (લો ટાઈડ) આવવાના કારણે બે ડોલ્ફિન માછલીઓ કિનારાની એક નાની ક્રીકમાં ફસાઈ ગઈ હતી. જોકે, ત્યાં હાજર જાગૃત કામદારોની સમયસૂચકતાને કારણે આ બંને ડોલ્ફિનને નવજીવન મળ્યું છે.


ઓટના કારણે ક્રીકમાં ફસાઈ ડોલ્ફિન

ઘટનાની મળતી માહિતી અનુસાર, દહેજ દરિયા કિનારે જ્યારે ભરતીના પાણી ઓસર્યા ત્યારે દરિયાઈ કરંટ સાથે આવેલી બે ડોલ્ફિન કિનારાની નાની ક્રીકમાં રહી ગઈ હતી. પાણી ઓછું થઈ જવાથી આ બંને ડોલ્ફિન પરત ઊંડા દરિયામાં જઈ શકી ન હતી અને કાદવ-કીચડવાળા ઓછા પાણીમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી.

કામદારોએ દેખાડી બહાદુરી

આ દ્રશ્ય દહેજ જેટી પર રહેલી 'અલ હૈદરી' મોટર લોન્ચ બોટના બે કામદારોની નજરે ચડ્યું હતું. ડોલ્ફિનનો જીવ જોખમમાં હોવાનું સમજાતા જ બંને કામદારો પાણીમાં ઉતર્યા હતા. તેમણે અત્યંત સાવધાનીપૂર્વક દોરડા વડે બંને ડોલ્ફિનને બાંધી હતી અને બોટની મદદથી તેમને સલામત રીતે ઊંડા દરિયામાં લઈ ગયા હતા. મધદરિયે પહોંચ્યા બાદ ડોલ્ફિનને મુક્ત કરવામાં આવતા જ તે આનંદભેર પાણીમાં કૂદતી જોવા મળી હતી. સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓ આ બંને કામદારોની કામગીરીને બિરદાવી રહ્યા છે.


આ પણ વાંચો - Bharuch News: તંત્રના પાપે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, 2 કરોડની ટાંકીનો વાલ્વ બગડતા 10 લાખ લીટર પાણી વેડફાયું


  • Follow us on: