ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે આવેલા સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના મંદિરે દરિયામાં ભરતી આવવાને કારણે એક યુવક પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો. જોકે, મરીન અને ઘોઘા પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે યુવકનો આબાદ બચાવ થયો છે.


ભાવનગરમાં દરિયામાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરતીના સમયે દરિયાનું પાણી ઝડપથી વધતાં એક યુવક પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો. પોતાનો જીવ બચાવવા માટે યુવકે ત્વરિત નિર્ણય લઈને નિષ્કલંક મહાદેવના મંદિર પર આવેલી ધજાના સ્તંભ (ટોચ) પર ચડી ગયો હતો. ધજાના સ્તંભ પર ચડી જવાને કારણે યુવકનો તાત્કાલિક બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ મરીન પોલીસ અને ઘોઘા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પાણીમાં ફસાયેલા યુવકનું ઝડપથી અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું.

મરીન પોલીસે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં મંદિર પરિસર પાસે એકઠા થયા હતા. પોલીસે યુવકનું રેસ્ક્યુ કર્યા બાદ હાલમાં મરીન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ યુવક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને કયા સંજોગોમાં તે દરિયાના વધતા પાણીમાં ફસાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: