ભાવનગર શહેરના આડોડીયા વાસ વિસ્તારમાં જૂની અદાવતને લીધે બે સમાજના લોકો વચ્ચે ભીષણ જૂથ અથડામણ સર્જાઈ છે. આડોડીયા વાસથી તિલકનગર જવાના રસ્તા પર બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં મામલો બિચકતા ઉગ્ર પથ્થરમારો શરૂ થયો હતો. આ હિંસક ધીંગાણાના લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં લોકો રસ્તા પર પથ્થરો ફેંકતા અને નાસભાગ કરતા નજરે પડી રહ્યા છે.
બે સમાજ ના લોકો વચ્ચે થયો પથ્થરમારો
પથ્થરમારાની આ ઘટનામાં ઉશ્કેરાયેલા ટોળાએ જાહેર માર્ગ પર પાર્ક કરેલી ગાડીઓના કાચ તેમજ આસપાસના મકાનોની બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા. તોડફોડ અને હિંસાને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો અને સ્થાનિક રહીશોમાં ભય વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસનો મસમોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી.













