ભાવનગર જિલ્લાના બગદાણામાં તાજેતરમાં બનેલી ચકચારી મારામારીની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગત 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલઘીયા નામના વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં બગદાણા પોલીસે ઝડપાયેલા 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. નવનીત બાલઘીયા પર થયેલા આ હુમલાના લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.


ફરિયાદી નવનીત બાલઘીયા પર હુમલો કરાયો હતો

ભોગ બનનાર નવનીતે ગંભીર આક્ષેપ કર્યો છે કે, આ હુમલો લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર દ્વારા કરાવવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ આક્ષેપોને પગલે પોલીસ સતર્ક બની છે. બગદાણા પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા સહિત રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર અને વીરુ સેરડાની ધરપકડ કરી છે.

ફરિયાદીએ લગાવ્યો છે જયરાજ આહીર પર આરોપ

આ આઠેય ઈસમોને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી હુમલાની કડીઓ જોડી શકાય. હાલમાં ભોગ બનનાર નવનીત બાલઘીયા મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયતની પૃચ્છા કરવા માટે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ભોગ બનનાર પરિવારને સાંત્વના આપી હતી અને આ મામલે યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. પોલીસ હાલ જયરાજ આહીરની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: