દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષીય યુવકે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ગુંદા ગામે રહેતા મિત રમણીકભાઈ માણાવદરીયા નામના યુવકે ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં જઈ અંતિમ પગલું ભર્યું હતું. યુવાન પુત્રના નિધનથી પરિવાર પર આભ ફાટ્યું છે અને ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
યુવકના આપઘાતનું કારણ
મિતના આપઘાત પાછળનું કારણ તેની સગાઈ ન થતી હોવાની બાબત હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી પ્રયત્નો કરવા છતાં યોગ્ય પાત્ર ન મળવાને કારણે કે સગાઈમાં વિલંબ થવાને કારણે મિત માનસિક રીતે વ્યથિત હતો. આ બાબત તેને મગજમાં લાગી આવતા, તેણે હતાશામાં આવીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. ઘટના સમયે તે ઉપરના રૂમમાં એકલો હતો અને ત્યાં તેણે પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો.













