ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UPSC પસંદગી પામેલા સ્પીપા (SPIPA) ના 35 તેજસ્વી ઉમેદવારો સાથે ખાસ મુલાકાત યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ નવનિયુક્ત અધિકારીઓને ભાવિ કારકિર્દી માટે અભિનંદન પાઠવવાની સાથે જનસેવાનું દાયિત્વ નિભાવવા માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


ઉમેદવારોનો અનુભવ અને આભાર

મુલાકાત દરમિયાન પસંદગી પામેલા ઉમેદવારોએ પોતાની કઠિન પરીક્ષાની તૈયારીના અનુભવો મુખ્યમંત્રી સાથે શેર કર્યા હતા. ઉમેદવારોએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, રાજ્ય સરકાર અને સ્પીપા તરફથી મળેલ પ્રોત્સાહન અને સુવિધાઓને કારણે જ તેઓ આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં સફળતા મેળવી શક્યા છે. તેમણે સરકારના હકારાત્મક અભિગમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીની પ્રેરક શીખ

મુખ્યમંત્રીએ પોતાના રાજકીય અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં જોડાયા પછી સૌથી મહત્વનું કામ 'નાનામાં નાના માણસ' સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનું છે. જ્યારે એક ઉમેદવારે પૂછ્યું કે, સરકારમાં જોડાયા પછી કયા ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવું જોઈએ? ત્યારે મુખ્યમંત્રીએ માર્મિક જવાબ આપતા કહ્યું કે, સરકારના તમામ વિભાગો મહત્વના છે, પરંતુ આરોગ્ય અને શિક્ષણને હંમેશા પ્રાથમિકતા આપવી જોઈએ.

સ્પીપાની સિદ્ધિ

આ વર્ષે સ્પીપામાં તાલીમ મેળવીને કુલ 35 જેટલા યુવાનો ઇન્ડિયન સિવિલ સર્વિસમાં પસંદગી પામ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ઉમેદવારોને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી દેશ અને રાજ્યના વિકાસમાં સહભાગી થવા પ્રોત્સાહિત કર્યા હતા.


આ પણ વાંચો - Gandhinagar : ઘેડ વિસ્તારના વિકાસ માટે સરકારનો મહત્વનો નિર્ણય, 1423 કરોડની યોજનાને મુખ્યમંત્રીની મંજૂરી


  • Follow us on: