ગાંધીનગરમાં ટાઈફોઈડના વધી રહેલા કેસોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં છે. તે ઉપરાંત મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ હાજર રહ્યાં છે. ગાંધીનગરમાં વધી રહેલા ટાઈફોઈડના કેસોને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ટાઈફોડઈના કેસો અંગે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આજે ટાઈફોઈડના નવા 11 કેસ નોંધાયા છે.
100થી વધુ પેરા મેડિકલ સ્ટાફ કામગીરીમાં જોડાયો
ગાંધીનગરમાં સેક્ટર 24 અને આદિવાડા વિસ્તારમાં ટાઈફોઈડના નવા 11 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં ટાઈફોઈડના 144 કેસ નોંધાયા છે. આ અંગે મહાનગર પાલિકાના કમિશનર જે એન વાઘેલાએ કહ્યું હતું કે, શહેરમાં આજે પાંચ નવા લીકેજ મળ્યા છે. ઈન્દિરાનગરમાં પાણીની લાઈન ઘણી જૂની છે. એમાં ક્યાંક લીકેજ થયું છે. તંત્ર દ્વારા 1018 જેટલા પાણીના સેમ્પલ લેવાયા હતાં. સેમ્પલ લેવાયા તે તમામ પાણી પીવા લાયક છે. અમે કોઈપણ કામગીરીમાં બાંધછોડ કરવા નથી માગતા. 16 ડોક્ટરોની ટીમ કામે લાગી છે. 100થી વધુ પેરા મેડિકલ સ્ટાફ કામગીરીમાં જોડાયો છે.













