ગાંધીનગરમાં ટાઈફોઈડના વધી રહેલા કેસોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં છે. તે ઉપરાંત મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ હાજર રહ્યાં છે. ગાંધીનગરમાં વધી રહેલા ટાઈફોઈડના કેસોને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ટાઈફોડઈના કેસો અંગે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આજે ટાઈફોઈડના નવા 11 કેસ નોંધાયા છે.


100થી વધુ પેરા મેડિકલ સ્ટાફ કામગીરીમાં જોડાયો

ગાંધીનગરમાં સેક્ટર 24 અને આદિવાડા વિસ્તારમાં ટાઈફોઈડના નવા 11 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં ટાઈફોઈડના 144 કેસ નોંધાયા છે. આ અંગે મહાનગર પાલિકાના કમિશનર જે એન વાઘેલાએ કહ્યું હતું કે, શહેરમાં આજે પાંચ નવા લીકેજ મળ્યા છે. ઈન્દિરાનગરમાં પાણીની લાઈન ઘણી જૂની છે. એમાં ક્યાંક લીકેજ થયું છે. તંત્ર દ્વારા 1018 જેટલા પાણીના સેમ્પલ લેવાયા હતાં. સેમ્પલ લેવાયા તે તમામ પાણી પીવા લાયક છે. અમે કોઈપણ કામગીરીમાં બાંધછોડ કરવા નથી માગતા. 16 ડોક્ટરોની ટીમ કામે લાગી છે. 100થી વધુ પેરા મેડિકલ સ્ટાફ કામગીરીમાં જોડાયો છે.

પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન કરાયું

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને કહ્યું કે,હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ORS પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે.લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ Rajkot: મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને મિલકત જાહેર કરવા આદેશ, પગાર અટકાવવાની ચીમકી

  • Follow us on: