ગાંધીનગરમાં ટાઈફોઈડના વધી રહેલા કેસોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં છે. તે ઉપરાંત મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ હાજર રહ્યાં છે. ગાંધીનગરમાં વધી રહેલા ટાઈફોઈડના કેસોને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ટાઈફોડઈના કેસો અંગે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.


રોગ નિયંત્રણ માટે પગલાં લેવા સૂચના આપી

આ બેઠકમાં પીવાના પાણીના સેમ્પલ રોજ લઈ યોગ્યતા તપાસવા માટે સૂચના અપાઈ છે. આ ઉપરાંત રોજ પાણીની યોગ્યતા તપાસીને પાણી વિતરણ કરવા સૂચન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ બેઠકમાં દર્દીઓની સારવાર અને રોગ નિયંત્રણ માટે પગલાં લેવા સૂચના આપી છે. ટાઈફોઈડ નાબૂદી માટે પગલાં વધુ સઘન બનાવવા નિર્દેષ આપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાઈને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું. કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો હોવાની વિગતો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.

પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવ્યું

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરએ આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને આ બેઠકમાં આપતા કહ્યું કે, હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ORS પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે. લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા નવા રજીસ્ટ્રાર, ડો. અજયસિંહ જાડેજા સંભાળશે વહીવટી સુકાન


  • Follow us on: