નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રિપબ્લિક ડે કેમ્પ (RDC)2026માં રાજ્યનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કર્યા પછી ગુજરાત NCC રિપબ્લિક ડે કન્ટિજન્ટ 30 જાન્યુઆરીએ અમદાવાદ પરત આવી છે. આ કન્ટિજન્ટએ કેમ્પ દરમિયાન યોજાયેલી વિવિધ રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને શિસ્ત, તાલીમ અને કામગીરીના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખ્યા, તેનાથી ગુજરાતને ગૌરવ અને સન્માન મળ્યા છે.


મુખ્યમંત્રીના હસ્તે 9 કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરાયા હતા

ભૂપેન્દ્ર પટેલે NCC છાત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, NCC માત્ર સંસ્થા નહિ, પણ એકતા અને અનુશાસન સાથેની આદર્શ જીવનશૈલી શીખવતી પાઠશાળા છે. અનુશાસન વિના વ્યક્તિ આગળ વધી શકતી નથી અને અનુશાસન વિના રાષ્ટ્ર પણ પ્રગતિ કરી શકતું નથી. આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે 9 કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરાયા હતા તેમજ કેડેટ જર્નલ-2026નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર વર્ષે યોજાતી NCCની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ વર્ષે ગુજરાતનું ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર NCC રાજકોટને અર્પણ કરવામાં આવ્યું હતું.

NCC કેડેટ્સે માત્ર પરેડ ગ્રાઉન્ડમાં નહીં, પરંતુ સમાજસેવામાં પણ જવાબદારી નિભાવી

મુખ્યમંત્રીએ મેડલ-સર્ટિફિકેટ મેળવનારા સૌ કેડેટ્સને અભિનંદન આપતાં કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ બાળપણથી જ એકતા અને અનુશાસનના પાઠ શીખ્યા છે, તેમાં NCCનું યોગદાન રહ્યું છે. NCC એવું સંગઠન છે જે દેશના યુવાનોને આત્મવિશ્વાસ, શિસ્ત, સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે સશક્ત બનાવે છે. વડાપ્રધાન પણ આવા સેવા અને સમર્પણ ભાવથી દેશનું નેતૃત્વ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતુ. તેમણે વધુમાં કહ્યું કે, NCC કેડેટ્સે માત્ર પરેડ ગ્રાઉન્ડમાં નહીં, પરંતુ સમાજસેવામાં પણ જવાબદારી નિભાવી છે. આપત્તિના સમયે સહાય, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ, રક્તદાન જેવા ક્ષેત્રોમાં તેમની ભૂમિકા પ્રશંસનીય છે.

ટીમવર્ક અને એકતા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું

તેમણે જણાવ્યું કે NCC કેડેટ્સ પોતાના વર્તન, યુનિફોર્મ, સમયપાલન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દ્વારા સમાજને શિસ્તનો ઉત્તમ પરિચય આપે છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, NCC વડાપ્રધાનશ્રીના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના મંત્રને ચરિતાર્થ કરે છે. જ્યારે સમગ્ર ભારતમાંથી યુવાનો એકસાથે તાલીમ લે છે, ડ્રિલ કરે છે અને રાષ્ટ્રધ્વજ નીચે ઊભા રહે છે, ત્યારે આ ભાવ વધુ મજબૂત થાય છે. ગુજરાતના NCC કેડેટ્સે રિપબ્લિક ડે, કર્તવ્ય પથ પર પરેડ, ગાર્ડ ઓફ ઓનર, પ્રધાનમંત્રી રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાજ્યનું નામ ઉજાગર કર્યું છે. આ સિદ્ધિઓના મૂળમાં માત્ર પ્રતિભા નથી, પરંતુ અવિરત શિસ્ત, ટીમવર્ક અને એકતા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

હેડક્વાર્ટરના બ્રિગેડિયરો અને NCCના કેડેટ્સ આ અવસરે ઉપસ્થિતિ રહ્યાં

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એન.સી.સી. માત્ર કૂચ કેવી રીતે કરવી એ શીખવતી સંસ્થા નથી. પંરતુ જ્યારે કેડેટ્સ લેફ્ટ-રાઈટના આદેશ સાથે કદમ મિલાવે છે ત્યારે સૌને સાથે લઈને એકતા અને અનુશાસનનું ઉદાહરણ પૂરું પાડે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દર વર્ષે ગુજરાતના NCC કેડેટ્સ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોતાની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં દેશમાં NCC કેડેટ્સની સંખ્યા 14 લાખથી વધીને 20 લાખ થઈ છે તે પણ ગૌરવની વાત છે. NCCમાંથી શીખેલા શિસ્ત, નેતૃત્વ, સમર્પણ અને દેશપ્રેમના મૂલ્યો તમને સમગ્ર જીવનમાં માર્ગદર્શન આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. એન.સી.સી., ગુજરાતના એ.ડી.જી. મેજર જનરલ બિમલ મોંગાએ રાજ્યમાં એનસીસી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. તેમણે એન.સી.સી.ની પ્રવૃત્તિઓના ફલકને વિસ્તારવા માટે રાજ્ય સરકારના સહયોગની પ્રશંસા કરીને આભાર માન્યો હતો. વડોદરા, જામનગર, વિદ્યાનગર અને અમદાવાદ NCC હેડક્વાર્ટરના બ્રિગેડિયરો અને NCCના કેડેટ્સ આ અવસરે ઉપસ્થિતિ રહ્યાં હતા.


આ પણ વાંચો : Arvalli News : અરવલ્લીના ભિલોડમાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા, સમાધાન બાદ 8 લોકોની ટોળકીએ કર્યો હુમલો


  • Follow us on: