ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ ત્યાર બાદ આગામી સમયમાં પ્રથમ બજેટ સત્ર યોજાશે. આ બજેટ સત્ર અગાઉ સરકારના મંત્રીઓ એલર્ટ થયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ, ઉદ્યોગ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આગામી બજેટ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી. બીજી તરફ વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતીની પુનઃ રચના કરવામાં આવી છે.
બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરાઈ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરાઈ છે. વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ચાર નવા સભ્યોની નિયુક્તિ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કુંવરજી બાવળિયા અને મનિષાબેન વકીલની નિમણૂંક કરવામાં આવી છે. નવી નિયુક્તિ સાથે સલાહકાર સમિતિમાં નવ સભ્યો થયા છે. આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, બાલકૃષ્ણા શુક્લા અને કોંગ્રેસના તુષાર ચૌધરી પણ છે.













