વડાપ્રધાન મોદીએ આસામના ગુવાહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના”નો ૨૨મો હપ્તો રિલીઝ કરીને દેશના દેશના ૯.૩૨ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. ૧૮,૬૪૦ કરોડથી વધુની સહાય જમા કરી છે. જે અંતર્ગત ગુજરાતના ૪૯.૫૯ લાખ ધરતીપુત્રોને પણ રૂ. ૧,૦૨૮ કરોડથી વધુની સહાય પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના ૨૨માં હપ્તા હેઠળ મળી છે.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો હતો.આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ખેડૂત લાભાર્થીઓને કૃષિ, બાગાયતની વિવિધ ખેતીલક્ષી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત હિતલક્ષી શાસનનો મંત્ર દોહરાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ખેડૂતોની સમસ્યાઓને સંવેદના સાથે વાચા આપી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નર્મદા કેનાલના નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડીને ખેતીને નવું જીવન આપ્યું છે. પાણીના સુયોજિત આયોજન દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે.અગાઉ ખેડૂતો રાત્રે વીજળી મળવાને કારણે મુશ્કેલી અનુભવતા હતા, પરંતુ આજે ગુજરાતમાં ૨૪ કલાક અને ૩૬૫ દિવસ વીજળી ઉપલબ્ધ છે.લગભગ ૯૬ થી ૯૮% ખેડૂતોને હવે દિવસે વીજળી પૂરી પાડવામાં આવે છે.













