ગાંધીનગર શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેમાં ખાસ કરીને સેક્ટર 24, 25, 26 અને આદિવાડા વિસ્તારમાં ટાઈફોડના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ટાઈફોડના 67થી વધુ કેસો નોંધાતા પાટનગરમાં ઇન્દોર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર ભરત ગોહિલે જણાવ્યું હતું કે, તેમના વોર્ડમાં ટાઈફોડના અનેક શંકાસ્પદ કેસો સામે આવ્યા છે, જેનું મુખ્ય કારણ દૂષિત પાણી હોવાનું અનુમાન છે. પાણીજન્ય રોગોના ફેલાવાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે ફફડાટ અને ચિંતા જોવા મળી રહી છે.
દૂષિત પાણીએ નોતર્યો રોગચાળો?
ટાઈફોડના કેસોની વધતી સંખ્યાને જોતા ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 'હાઉસ ટુ હાઉસ' સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી નવા દર્દીઓને શોધી વહેલી તકે સારવાર આપી શકાય. કોર્પોરેટરના જણાવ્યા મુજબ, હાલ આરોગ્ય ટીમો દ્વારા સર્વે અને ક્લોરિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દૂષિત પાણીના જોખમને ટાળવા માટે તંત્ર દ્વારા રહીશોને ઉકાળેલું પાણી પીવાની અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.













