દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણીએ નવા વર્ષના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અંબાણી પરિવારની સાથે મુંબઈથી આવેલા ખાસ મહેમાનો પણ આ ભક્તિમય યાત્રામાં જોડાયા હતા. અંબાણી પરિવારનું હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ થયું હતું.


મુકેશ અને નીતા અંબાણીએ મંદિરમાં પૂજા કરી

ત્યાંથી તેઓ સીધા સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડા અને અન્ય અધિકારીઓ દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુકેશ અને નીતા અંબાણીએ સોમનાથ મહાદેવને શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક કર્યો હતો અને સોમેશ્વર પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

સોમનાથ મહાદેવને જળાભિષેક કરી પૂજા અર્ચના કરી

દર્શન બાદ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, "નવા વર્ષના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન કરી અમે ખૂબ જ ધન્ય બન્યા છીએ." આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને રિલાયન્સની પોતાની પ્રાઈવેટ સિક્યોરિટી ટુકડી પણ તૈનાત રાખવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: