ગાયકવાડ શાસન વખતનું ઐતિહાસિક વિરાસત સમાન કોડીનારનું રેલવે સ્ટેશન આજે સ્થાનિકો માટે 'મૃત્યુના સ્ટેશન' સમાન બની ગયું છે. છેલ્લા 10 વર્ષથી મીટરગેજ ટ્રેન બંધ થતા જ રેલવે તંત્રએ આ મિલકતને રામભરોસે છોડી દીધી છે. આજે આ સ્ટેશન પરિસરમાં માણસ ડૂબી જાય તેટલા ગીચ બાવળો ઊગી નીકળ્યા છે, જેના કારણે શહેરની મધ્યમાં એક અઘોચર જંગલ ઉભું થયું છે.


કોડિનાર રેલવે સ્ટેશન બન્યુ દીપડાઓનું કાયમી રહેઠાણ

ભયના ઓથાર હેઠળ જીવતા રહીશો આ પરિસર હવે માત્ર અસામાજિક તત્વોનો અડ્ડો નથી, પણ હિંસક દીપડાઓનું કાયમી રહેઠાણ બની ગયું છે. થોડા સમય પહેલા જ એક માસૂમ બાળકીને હિંસક પશુએ ફાડી ખાધી હતી, છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. 20 થી 25 સોસાયટીઓ વચ્ચે આવેલા આ 'કૃત્રિમ જંગલ'માં દીપડાઓની અવરજવર એટલી વધી ગઈ છે કે લોકો દિવસે પણ ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. હજુ ગત અઠવાડિયે જ અહીંથી એક દીપડો પાંજરે પુરાયો છે.

સ્થાનિકોનો તંત્ર સામે આક્રોશ

તંત્રની વિચિત્ર કાર્યપદ્ધતિ સ્થાનિકોનો આક્રોશ તંત્રની જડતા સામે છે. એક તરફ રેલવે પોતે આ ગંદકી અને ઝાડી-ઝાંખરાની સફાઈ કરતું નથી, અને બીજી તરફ જો કોઈ સફાઈ કરવા તૈયાર થાય તો RPF કાયદાની આટીઘૂંટી બતાવીને રોકે છે. નગરપાલિકા રેલવેની હદ હોવાથી લાચાર છે. આમ, "મરો તો કોના વાંકે?" જેવી સ્થિતિમાં જનતા ફસાઈ છે.

તંત્રના પાપે કોડીનારની જનતા મુશ્કેલીમાં

સવાલ સુરક્ષાનો છે વિકાસના બણગા ફૂંકતું રેલવે મંત્રાલય શું નાગરિકોના જીવની કિંમત નથી સમજતું? નવા સ્ટેશનના નિર્માણમાં વિલંબ અને જૂની મિલકતની જાળવણીમાં બેદરકારી આ બંને વચ્ચે કોડીનારની જનતા પિસાઈ રહી છે. શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? હવે સમય આવી ગયો છે કે રેલવે તંત્ર પોતાની કુંભકર્ણ નિંદ્રા ત્યાગીને આ જંગલ સાફ કરે અને જનતાને ભયમુક્ત કરે.

આ પણ વાંચોઃ Ambaji:માં અંબાના ધામે ભક્તિનો શણગાર, અંબાજી મંદિરમાં અર્પણ કરાયો 43.51 લાખનો રત્નજડિત સુવર્ણ મુગટ


  • Follow us on: