ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે ફરી એકવાર ધરતી ધ્રૂજવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે 3.59 કલાકે તાલાલા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ છે. આંચકો હળવો હોવા છતાં, શાંત વાતાવરણમાં અનુભવાયેલા કંપનને કારણે અનેક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારના સમયે આવેલા આ આંચકાને કારણે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તાલાલામાં ભૂકંપ
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 23 કિલોમીટર દૂર નોંધાયું છે. 2.6ની તીવ્રતાનો આંચકો સામાન્ય રીતે હળવો ગણાય છે, જેના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ અને તાલાલા પંથકમાં અવારનવાર નાના આંચકા અનુભવાતા રહે છે, જેની પાછળ સ્થાનિક ફોલ્ટ લાઈન જવાબદાર હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.













