ગીર સોમનાથમાં ઘણા ફાર્મ હાઉસ આવેલા છે. જેમાંથી ઘણા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા છે. આવા ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીરમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા 10 ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા છે. ભોજદે ગીરમાં 10 ફાર્મ હાઉસ સીલ કરવાના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ માટે તાલાલા મામલતદાર સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વર્ષ 2014માં પણ ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા હતા
વન વિભાગની NOC વિના આ ફાર્મ હાઉસ ચાલતા હતા. ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે કલેક્ટર દ્વારા આ મામલે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં ફાર્મ હાઉસ, રિસોર્ટ ગેરકાયદેસર હોવાનું ખૂલ્યું હતું, જે કારણે આ એકમો સીલ કરવામાં આવ્યા છે. તંત્રની ક઼ડક કાર્યવાહીના પગલે ફાર્મહાઉસ અને રિસોર્ટ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2014માં પણ ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા હતા.આ કડક કાર્યવાહી છતા અનેક ફાર્મહાઉસ ફરી ધમધમવા લાગ્યા છે.













