ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાવંત્રી ગામે બનેલી હીંચકારી ઘટનામાં પોલીસે લાલ આંખ કરી છે. જમીન વિવાદમાં એક મકાન પર હુમલો કરી વૃદ્ધાનું મોત નીપજાવનાર આરોપીઓને ઝડપી પાડી પોલીસે આજે તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જાવંત્રી ગામે જમીન મામલે ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીઓએ એક મકાનને નિશાન બનાવી તેના પર પેટ્રોલ બોમ્બ ફેંકી આગ લગાવી દીધી હતી.
4 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું
એટલું જ નહીં, હુમલાખોરોએ જામગરી બંદૂકમાંથી ફાયરિંગ પણ કર્યું હતું. આ ભયાનક હુમલામાં મકાનમાં હાજર 75 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું. આ ચકચારી કેસમાં તાલાલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. ગુનેગારોમાં પોલીસનો ભય રહે અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જળવાય તે હેતુથી પોલીસે: મુખ્ય 4 પુરુષ આરોપીઓને ઘટનાસ્થળે અને જાહેર માર્ગો પર ફેરવ્યા હતા.













