મધ્ય ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એવી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી સેમિસ્ટર-૫ ની પરીક્ષાની અંદાજે 11,000 જેટલી ઉત્તરવહીઓ પ્રોફેસરોએ તપાસ્યા વગર જ પરત મોકલી દેતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય રીતે આ યુનિવર્સિટીમાં BA, B.Com, B.Sc, BBA અને LLB જેવી પરીક્ષાઓના પરિણામ 15થી 20 દિવસમાં જાહેર કરી દેવામાં આવતા હતા.
સેમિસ્ટર-5ની પરીક્ષાની ઉત્તરવહીઓ ન તપાસી
જોકે, આ વર્ષે પરીક્ષા પૂર્ણ થયે 45 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરિણામનો કોઈ પત્તો નથી. આ વિલંબ પાછળ પ્રોફેસરોનું નકારાત્મક વલણ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) હરિભાઈ કાતરીયાએ સ્વીકાર્યું છે કે મોટી સંખ્યામાં ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, પ્રોફેસરો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ઉત્તરવહીઓ તપાસવા તૈયાર નથી.













