રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર પુલ પરથી નીચે ઉતરતા સમયે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર પલટી ખાઈ ગયા બાદ મૃતકોના દેહ ક્ષત-વિક્ષત થઈ ગયા હતા, જેથી તાત્કાલિક ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જોકે, પોલીસે કારના ચેસિસ નંબર અને સ્થળ પરથી મળી આવેલા પર્સના આધારે મૃતકોની પ્રાથમિક ઓળખ સ્થાપિત કરી છે.
ભીષણ કાર અકસ્માત
અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. લાશની સ્થિતિ ગંભીર હોવાથી ઓળખની પુષ્ટિ કરવા માટે મૃતદેહોને રાજકોટ FSL (Forensic Science Laboratory) ખાતે DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે શું આ અકસ્માત ઓવરસ્પીડને કારણે થયો હતો કે કોઈ ટેકનિકલ ખામીને લીધે. ગોંડલ હાઈવે પર સર્જાયેલી આ ઘટનાથી મુસાફરો અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.













