ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR) અંતર્ગત ડેટા જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, આ વખતે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે રેકોર્ડબ્રેક અરજીઓ મળી છે. રાજ્યભરમાંથી નામ કમી કરવા માટે કુલ 12,59,229 ફોર્મ-7 ચૂંટણી પંચને પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે અવસાન પામેલા, બેવડા નામ ધરાવતા અથવા કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામ દૂર કરવા માટે આ ફોર્મ ભરવામાં આવતા હોય છે.


મતદાર યાદીમાં નામ ઉમેરવા 6,54,594 ફોર્મ 6, 6A મળ્યા

બીજી તરફ, લોકશાહીના પર્વમાં જોડાવા માટે યુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા માટે કુલ 6,54,594 ફોર્મ-6 અને ફોર્મ-૬એ મળ્યા છે. આ ઉપરાંત, મતદાર કાર્ડમાં રહેલી વિગતોમાં સુધારા-વધારા કરવા અથવા એક જ વિધાનસભા ક્ષેત્રમાં સ્થળાંતર માટે કુલ 5,04,835 ફોર્મ-8 ચૂંટણી પંચને મળ્યા છે.

30 જાન્યુઆરી સુધી નામ કમી કે ઉમેરી શકાશે

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, હવે સંબંધિત ચૂંટણી અધિકારીઓ (ERO) દ્વારા આ તમામ દાવાઓ અને વાંધાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ તેનો આખરી નિકાલ કરવામાં આવશે. જે નાગરિકો હજુ પણ પોતાનું નામ ઉમેરવા અથવા કમી કરાવવા માંગતા હોય, તેમના માટે 30 જાન્યુઆરી સુધીની અંતિમ તક છે. આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે, ત્યારબાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. પંચ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: