રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેરડી ગામે ખેતીવાડી પંથકમાં આજે આગની ભયાનક ઘટના સામે આવી છે. ખેતરમાં લહેરાતા સોના જેવા તૈયાર ઘઉંના ઊભા પાકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ વીઘા જમીનમાં વાવેલા ઘઉં બળીને રાખ થઈ જતા ખેડૂત પાયમાલ થઈ ગયો છે.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, દેરડી ગામની સીમમાં આવેલા એક ખેતર ઉપરથી પસાર થતા વીજ વાયરોમાં અચાનક ઘર્ષણ થતા તણખલા ખર્યા હતા. સૂકો અને તૈયાર થયેલો ઘઉંનો પાક હોવાથી આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખેતરના માલિક અને આસપાસના લોકોએ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ તે પહેલા પાંચ વીઘાનો તૈયાર પાક સ્વાહા થઈ ગયો હતો.

PGVCLને જાણ

વીજ વાયરમાંથી તણખલા ખરવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાને પગલે ખેડૂતો દ્વારા PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. ખેડૂતોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે કે, લબડતા વીજ વાયરો અને જર્જરિત લાઈનોના કારણે તેમની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

ભારે નુકસાની

મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દિવસ-રાતની મહેનત બાદ તૈયાર થયેલા ઘઉંના પાકનું નુકસાન થતા ખેડૂતની હાલત કફોડી બની ગઈ છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે, વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી પીડિત ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે.


આ પણ વાંચો - Rajkot News: ક્રિકેટ રમતા વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, અવધના ભૂત બંગલામાં દૂર્ઘટના


  • Follow us on: