જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાદનપર-કુન્નડ રોડ પર નિર્માણ પામેલા ડાયવર્ઝન પાસે અંધારામાં માટીના ઢગલા ન દેખાતા બાઈક સ્લિપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં વાવડી ગામના પશુપાલક આધેડનું કરૂણ મોત નીપજ્યું છે, જેના કારણે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
લગ્ન પ્રસંગમાં જતા પૂર્વે જ માર્ગમાં મળ્યું મોત
ઘટનાની મળતી માહિતી અનુસાર, જામનગરના વાવડી ગામના રહેવાસી 50 વર્ષીય અરજણભાઈ પબાભાઈ ટોયટા ગત રાત્રે પોતાનું બાઈક લઈને બાદનપર ગામે આયોજિત સમૂહલગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેઓ જ્યારે બાદનપર પાટિયા નજીક પહોંચ્યા ત્યારે રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. રાત્રિના અંધકારમાં રસ્તા પર પડેલા માટીના મોટા ઢગલા નજરે ન પડતા તેમનું બાઈક પટકાયું હતું.













