ગિરનારની તળેટીમાં ભવનાથના મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે. આ પવિત્ર અવસરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. જોકે, તેમની આ મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી. કારણ કે, તેમણે કોઈ પણ જાતના VIP કલ્ચર વગર સામાન્ય નાગરિકની જેમ મેળાનો આનંદ માણ્યો હતો.


2 કિલોમીટર પદયાત્રા કરી આપ્યો સંદેશ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરડા વાવથી ભવનાથ સુધીના 2 કિલોમીટરથી વધુના રસ્તે ચાલીને પહોંચ્યા હતા. તેમની સાથે મેયર, ધારાસભ્ય અને અન્ય આગેવાનો પણ પદયાત્રામાં જોડાયા હતા. સામાન્ય રીતે મંત્રીઓ ગાડીઓના કાફલા સાથે આવતા હોય છે, પરંતુ હર્ષ સંઘવીએ લોકો વચ્ચે ચાલીને "VIP કલ્ચર" દૂર કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી મેળાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ડમરૂ યાત્રાથી ગુંજી ઉઠી ગિરનારની તળેટી

ભવનાથમાં આ વખતે અમદાવાદના 'શિવ ગ્રુપ' દ્વારા ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધુ કલાકારોએ એકસાથે ડમરૂના નાદ વગાડી વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. સનાતન ધર્મમાં ડમરૂનું અનેરું મહત્વ છે; કહેવાય છે કે ભગવાન શિવ જ્યારે તાંડવ નૃત્ય કરે છે ત્યારે ડમરૂનો નાદ ગુંજે છે.

દેશના દુશ્મનોને ચેતવણી

આ ડમરૂ યાત્રા માત્ર ભક્તિ જ નહીં પણ રાષ્ટ્રવાદના રંગે પણ રંગાયેલી જોવા મળી હતી. ડમરૂના પ્રચંડ નાદ સાથે દેશના દુશ્મનોને ચેતવણી આપવામાં આવી હતી કે, ભારતની સનાતન શક્તિ અજેય છે. મેળામાં ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓ ડમરૂના નાદ અને ભજન-ભોજન-ભક્તિના ત્રિવેણી સંગમમાં તરબોળ થયા હતા.


આ પણ વાંચો - જૂનાગઢમાં હર હર મહાદેવ...આજથી 5 દિવસ શિવરાત્રિના મેળાનો પ્રારંભ


  • Follow us on: