આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.


આ વર્ષે પ્રથમવાર ભવ્ય 'ડમરુ યાત્રા'નું આયોજન કરાયું છે

જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય 'ડમરુ યાત્રા'નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે ૧૧મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭:૦૦ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત ૪૦૦ મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે સુવિધા

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે ૮૦૦-૮૫૦ ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે ૨,૦૦૦ ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં ૭૦૦ પલંગ અને ૧૫૦ ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને ૨૪*૭ હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

6 મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરવામાં આવશે

મેળામાં આવતા નાગરીકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ૫રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર, જેવા ૨૫ અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. નાગરીકોના વાહનોની સુરક્ષા માટે દરેક પાર્કિંગમાં સીસીટીવી કેમેરા, પીવાનું પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાના માર્ગો અને મંદિરોને વધુ ભક્તિમય બનાવવામાં આવશે. જેમાં સમગ્ર ભવનાથ મેળા વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગાર કરવામાં આવશે. ભવનાથ મંદિરનું ફૂલોથી સુશોભન અને સમગ્ર રવેડી રૂટ પર આકર્ષક રોશની કરવામાં આવશે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને ૬ મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરવામાં આવશે.

મેળાના રસ્તામાં 06 સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે

આ ઉપરાંત સમગ્ર મેળા વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રસ્તા ઉપર સુશોભન અને લાઇટિંગ પણ કરવામાં આવી છે. ભવનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ અંતર્ગત, પીવાના શુદ્ધ પાણી માટે ભવનાથમાં ૧૪૦ પરબની વ્યવસ્થા કરાઈ છે. પર્યાવરણની જાળવણી માટે ૧૦ બોટલ ક્રશર મશીન અને કોઈપણ તબીબી જરૂરિયાતને પહોંચી વળવા માટે ૨૮ મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

મુખ્ય બે પોઇન્ટ ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ પ્રસ્થાન કરશે

આ ઉપરાંત, મેળા દરમિયાન કુલ ૧૧૮ હંગામી ટોયલેટ તેમજ ભવનાથ વિસ્તારમાં ૬ મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ વ્યવસ્થા અને ૨૪*૭ હાઉસકીપિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ પાર્કિંગના તમામ સ્થળોએ ફ્લડ લાઈટ, સેનિટેશન, સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, રાઉન્ડ ઘી ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. આ માટે જિલ્લા કક્ષાએ પાર્કિંગ સમિતિની રચના કરવામાં આવી છે. આ પાર્કિંગથી મુખ્ય બે પોઇન્ટ ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ પ્રસ્થાન કરશે.

મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે

પાર્કિંગ સ્થળોએથી ખાસ કરીને દિવ્યાંગોને મેળામાં લઇ જવા માટે ર૫ જેટલી રીક્ષાઓથી નિ:શુલ્ક ૫રીવહનની સુવિધા પુરી પાડવાનું આયોજન કર્યું છે.સ્થાનિક તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. 'અતિથિ દેવો ભવ:'ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે.


આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક સામે ભાવમાં રૂ.60નો ઘટાડો જોવા મળ્યો


  • Follow us on: