ખેડાના બામરોલી ગામે રાજકીય અદાવતમાં સસ્પેન્ડેડ સરપંચ દ્વારા કાર્યકારી સરપંચ પર હુમલો કરવાની શરમજનક ઘટના બની છે. વિગત એવી છે કે, બામરોલીના પૂર્વ સરપંચ પાસે ત્રણ સંતાનો હોવા છતાં ચૂંટણીમાં ખોટી રીતે દાવેદારી કરી હતી. મણીબેન સોલંકી દ્વારા આ મુદ્દે કાયદાકીય લડત લડવામાં આવતા અને ત્રણ સંતાનો હોવાનું પુરવાર થતા સરપંચને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વાતનો ખાર રાખીને સસ્પેન્ડેડ સરપંચે એક ટોળા સાથે કાર્યકારી સરપંચના ઘરે જઈ હુમલો કર્યો હતો અને તેમને ગડદાપાટુનો નિર્મમ માર માર્યો હતો, જેને પગલે ગામમાં તંગદિલી સર્જાઈ છે.
મણીબેન સોલંકીના પરિવાર પર હુમલો
આ હુમલા બાદ પીડિત કાર્યકારી સરપંચ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. પૂર્વ સરપંચે ખોટી રીતે હોદ્દો મેળવ્યો હોવા છતાં તેમની દાદાગીરી ઓછી થઈ નથી, જેને કારણે મણીબેન સોલંકી અને તેમના પરિવારમાં ભયનો માહોલ છે. ગ્રામજનોમાં પણ ચર્ચા છે કે જો કાયદેસર રીતે સસ્પેન્ડ કરાયેલા શખ્સ સામે પોલીસ કડક પગલાં નહીં ભરે તો ગામમાં શાંતિ જોખમાઈ શકે છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું જણાવી રહી છે.













