મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે આજે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલો સોના જેવો ઘઉંનો પાક આંખના પલકારે રાખમાં ફેરવાઈ ગયો હતો. ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી પડેલા એક તણખલાએ બે ખેડૂતોની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
20 વીઘામાં પ્રસરી ભીષણ આગ
ઘટનાની મળતી માહિતી અનુસાર, નવા વેગડવાવ ગામના ખેડૂત શંકરભાઈ ડાભી અને ખેંગારભાઈના ખેતરમાં આ દુર્ઘટના ઘટી હતી. લીલાપર સબ સ્ટેશનના દિવ્યાંગ ફીડરમાંથી અચાનક વીજ તણખલો ઉડતા સૂકા ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં પવનના વેગે આગ આશરે 20 વીઘા જેટલા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. તૈયાર થયેલો પાક બળતો જોઈ ખેડૂતોના હૈયા ફાટી ગયા હતા.













