નવસારી શહેરના વ્યસ્ત ગણાતા જલાલપોર રેલવે ફાટક પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે એક યુવક પુરપાટ ઝડપે આવી રહેલી માલગાડીની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોમાં રેલવે તંત્ર અને વહીવટી તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જલાલપોર ફાટક પાસે લાંબા સમયથી ફુટ ઓવરબ્રિજ (FOB) બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.


ફુટ ઓવરબ્રિજની માંગણી છતાં ઉપેક્ષા

ઓવરબ્રિજ ન હોવાને કારણે હજારો લોકો દરરોજ જીવના જોખમે ફાટક ઓળંગવા મજબૂર બને છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના પરિણામે આજે વધુ એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે. આ પહેલી ઘટના નથી; અગાઉ પણ જલાલપોર ફાટક બંધ થયા બાદ ઉતાવળમાં પાટા ઓળંગવા જતાં અનેક લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. ફાટક બંધ હોય ત્યારે લોકો નીચેથી કે બાજુમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે, જે જીવલેણ સાબિત થાય છે.

ખૂની ફાટક સાબિત થઈ રહ્યું છે જલાલપોર

જો અહીં સુરક્ષિત ફૂટ ઓવરબ્રિજ હોત, તો કદાચ આ યુવકનો જીવ બચી શક્યો હોત. દુર્ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ નવસારીના નાગરિકો ફરી એકવાર 'રેલવે ફાટક મુક્ત' શહેર અને ઓવરબ્રિજની સુવિધા માટે સોશિયલ મીડિયા અને લોક દરબારમાં અવાજ ઉઠાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: