દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ગ્રામીણ જનતા માટે જીવાદોરી સમાન ઉકાઈ-કાકરાપાર કેનાલ નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. નવસારી ખાતે આજે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલના હસ્તે રૂપિયા 199 કરોડના માતબર ખર્ચના કેનાલના નવીનીકરણના કામોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.


બે જિલ્લાના 1000 ગામોને મળશે સીધો લાભ

આ પ્રોજેક્ટ વલસાડ અને નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અંદાજે 1,000થી વધુ ગામોના લોકોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધામાં આ કામગીરીથી મોટો ફાયદો થશે. સરકાર દ્વારા આ કામોને અત્યંત ઝડપથી એટલે કે માત્ર 45 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી આગામી સિઝનમાં લોકોને તેનો લાભ મળી શકે.

નબળી કામગીરી કરનારની ખેર નથી: મંત્રી

ખાતમુહૂર્ત કરતા સમયે આયોજિત સભામાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે કોન્ટ્રાક્ટર્સને જાહેરમાં કડક સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં ગુણવત્તા સાથે જરા પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. મંત્રીએ ટકોર કરી હતી કે, જો કામગીરીમાં ક્યાંય પણ ઉણપ જણાશે અથવા નબળું મટીરીયલ વપરાશે, તો જવાબદાર કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક અસરથી 'બ્લેક લિસ્ટ' કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલે પણ સરકારની પ્રજાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ દક્ષિણ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો - Navsariમાં ઈલુ ઈલુ કાંડમાં ભાજપ નેતાને નોટિસ, ના.મામલતદારના પતિની ભાજપ નેતાને નોટિસ, જુઓ Video


  • Follow us on: