બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પેડાગડા ગામમાં ગઈકાલે તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં 25 જેટલા ગરીબ પરિવારોના આશિયાના પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા પીડિતોમાં ભારે રોષ અને આક્રંદ જોવા મળી રહ્યું છે.
25 જેટલા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
તંત્રની આ કડક કાર્યવાહીના વિરોધમાં અને પોતાની વેદના રજૂ કરવા માટે પેડાગડા ગામના પીડિત પરિવારો મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અચાનક કરવામાં આવેલી આ કામગીરીથી તેઓ હવે રસ્તા પર આવી ગયા છે. મકાનો તોડી પાડવાની સાથે ખેતરો પણ ખેડી નાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પીડિતોએ કર્યા છે. ગઈકાલે જ્યારે પાલનપુર તાલુકા પોલીસે બંદોબસ્ત સાથે ગામમાં દબાણ હટાવવાની શરૂઆત કરી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.













