પંજાબના ફતેહગઢ સ્થિત સરહિન્દ રેલવે સ્ટેશન પાસે થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગુપ્તચર વિભાગને મળેલા મહત્વના ઇનપુટ્સના આધારે રેલવે સ્ટેશનો આતંકીઓના ટાર્ગેટ પર હોવાની આશંકા સેવાઈ રહી છે. જેના પગલે પંચમહાલ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ગોધરા રેલવે સ્ટેશન પર આજે સવારથી જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
બોમ્બ સ્ક્વોડ અને રેલવે પોલીસ એક્શનમાં
રેલવે પોલીસ (GRP) અને રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ને સાથે રાખીને સમગ્ર સ્ટેશન પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ગોધરા સ્ટેશનના પ્લેટફોર્મ, વેઈટિંગ રૂમ, પાર્કિંગ એરિયા અને ટ્રેક પાસે બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ ટ્રેનોમાં મુસાફરોની બેગ અને સામાનનું મેટલ ડિટેક્ટરની મદદથી ચેકિંગ કરાયું હતું.













