પાટણમાં ઠાકોર સમાજની મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં સમાજમાંથી કુરિવાજોને દુર કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. બેઠકમાં 16 જેટલા નવા નિયમો જાહેર કરાયા હતા
ઠાકોર સમાજની આગામી બેઠક 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા ના ઓગડ ખાતે યોજાશે
ઠાકોર સમાજની આગામી બેઠક 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા ના ઓગડ ખાતે યોજાનાર છે. આ બેઠકમાં સમાજના નવા નિયમો સાથે બંધારણને મંજૂરી આપવામાં આવશે. બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહેશે અને ઠાકોર સમાજના તમામ સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઠાકોર સમાજ બંધારણ મુદ્દાઓ
1:-સગાઈ પ્રસંગ
સગાઈમાં પુરુષ અને મહિલા મળી ર૧ વ્યક્તિએ જવું. તેનાથી વધારે વ્યકિતઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહી. અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં.. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવે છે. સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે. એક જોડી કપડાં લઈ જવા. સગાઈ કર્યા પછી ફેટો બંધાવવા (મળવા જવાની) પ્રથાને બંધ કરવી.
2:- લગ્ન લખવાના પ્રસંગ.
* લગ્ન મુકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ-સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે.
* લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહી. સાદુ કાર્ડ રાખવુ હોય તો રાખી શકાય.
મોબાઈલ ફોનથી ડિજીટલ આમંત્રણ આપી શકાશે. પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહી.
સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ રાખવો નહી. નારાજગી રાખવી નહી.
3:- જાન લઈ જવાના પ્રસંગ
સનરુફ ગાડી લાવવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
જાનમાં 11 (આગિયાર) થી વધારે વાહનો લઈ જવા નહી. જાનમાં ગાડીઓની લાઇન લગાવવાની પ્રથા બંધ કરવામાં આવે છે.
જાનમાં મહિલા અને પુરુષો મળી કુલ ૧૦૦ થી વધુ વ્યકિતની સંખ્યાથી વધારે વ્યકિત બિલકુલ લઈ જવી નહીં. વ્યકિતીની સંખ્યામાં ૧૦ વર્ષથી ઉપરનો બાળક વ્યક્તિ ગણાશે.
જાનનો વરઘોડો -મામેરું કે જાનમાં ડીજે લઈ જવુ નહી.
4:- સમાવાનો પ્રસંગ (પડલાનો પ્રસંગ).
બુટ્ટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી (પ્લાસ્ટીકની બંગડી) લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈપણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહી. • લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગો આથી બંધ કરવામાં આવે છે. • જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે. જાનમાં શરણાઈ વગાડી શકાશે.
5:-જમણવારનો પ્રસંગ.
જમણવારમાં એક મીઠાઈ, દાળ-ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા અને પુરી રાખવાની રહેશે. આનાથી વધારે અન્ય બીજી કોઈપણ આઈટમ રાખવી નહી.
6:- મામેરાનો પ્રસંગ
મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જવાની રહેશે.
મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે.
મામેરામાં કપડાની ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા 11 (અગિયાર હજાર) અને વધુમાં વધુ 1,51,000/- (એક લાખ એકાવન હજાર) રોકડમાં માંડવે મામેરુ ભરવાનુ રહેશે.
મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાના રહેશે નહીં.
7:- આંણાનો પ્રસંગ,
કન્યાને તેડવા જવાનો-આંણુ મુકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે.
કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહેશે.
8:- પૂરગત મુકવાનો પ્રસંગ.
પૂરગતમાં વાટલું, કળસિયો, બેડુ અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે.
ભેટ (ગીફટ) પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
9:- બોલામણા પ્રથા.
બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે.
10:- જન્મદિવસ પ્રસંગ
* જન્મ દિવસની ઉજવણી પ્રસંગ સદંતર બંધ કરવામાં આવે છે.
* જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાયબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકશે.
11:- મૈત્રી કરાર.
મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ-લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહી કે તેને સમર્થન કરવુ નહી.
12:- સમાજના કોઈપણ સારા- ખોટા- નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી- અફીણ- ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહી.
13:-મરણ પ્રસંગ.
* મરણ પ્રસંગે ખીચડી-કઢી અને તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈપણ વારને ક-વાર ન ગણવો.
14:- લગ્નની તારીખો નક્કી કરવા બાબત
વર્ષમાં બે માસ સમાજને લગ્ન માટે નક્કી કરવામાં આવે છે. તે મુજબ મહા વૈશાખ સુદ ૧ (એકમ) થી ૧૫ (પૂનમ) સુધી.
મહા સુદ ૧ (એકમ) થી ૧૫ (પૂનમ) સુધી. ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે. અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં.
15:- લગ્ન- જન્મ- મરણ- પુણ્યતિથિ- સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થામાં ઓછામાં ઓછો રૂપિયા 500 (પાંચસો) અને અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાશે.
16:- અન્ય બાબતોના મુદ્દા.
દરેક તાલુકા કક્ષાએ બંધારણ અમલ માટે સંકલન સમિતી ફરજીયાત બનાવવી. જેથી કરીને બંધારણના મુદ્દાઓનો અમલ કરાવી શકાય. * દરેક ગામમાં કુંટ (કુટુંબ) વાઇઝ વ્યકતીઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતી બનાવવી.
આ પણ વાંચો--- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
