રાજકોટમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે. આવામાં રોડ બાંધકામમાં એક વધુ એક ભ્રષ્ટાચારની ઘટના સામે આવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ વિસ્તારમાં નવા બનેલી રહેલા રોડમાં તિરાડો જોવા મળી છે. જે કારણે સ્થાનિકો રોષે ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ રોડનું હજૂ લોકાર્પણ કરવામાં આવ્યું નથી. આટકોટ વિસ્તારમાં સરદાર પટેલ ચોકડીથી અંબાજી ફાર્મ હાઉસ સુધી રોડ આ રોડ બનાવવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. અહીં હજુ તો રોડનું લોકાર્પણ પણ થયું નથી, ત્યાં જ નવા બનેલા સીસી રોડમાં મોટી તિરાડો જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
85 લાખના ખર્ચે બનેલા 1 કિમી રોડની હાલત બિસ્માર
ઘટનાની મળતી માહિતી અનુસાર, આટકોટના સરદાર પટેલ ચોકડીથી અંબાજી ફાર્મ હાઉસ સુધી અંદાજે 85 લાખ રૂપિયાના માતબર ખર્ચે 1 કિલોમીટર લાંબા સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલો આ રોડ હજુ તો પૂર્ણતાના આરે છે, ત્યાં જ તેમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે રોડની આ દશા થઈ છે.
માટીને બદલે કાટમાળનો ઉપયોગ
ભ્રષ્ટાચારની હદ તો ત્યાં જોવા મળી કે રોડની બંને બાજુએ સુરક્ષા માટે માટી પુરાણ કરવાનું હોય છે, પરંતુ તેના બદલે જૂની નિશાળનો કાટમાળ નાખીને કામ પતાવી દેવામાં આવ્યું છે. આ પ્રકારની કામગીરીથી વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.
ગ્રામજનોની આંદોલનની ચીમકી
રોડની નબળી કામગીરી જોઈને આટકોટના ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. લોકોની માંગ છે કે, રોડની બંને બાજુથી કાટમાળ દૂર કરી તાત્કાલિક યોગ્ય માટી પુરાણ કરવામાં આવે, તિરાડો પડેલા રોડનું ફરીથી ગુણવત્તાયુક્ત સમારકામ થાય. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.
આ પણ વાંચો - Rajkot News: સિવિલ હોસ્પિટલમાં નેપાળી યુવકનું મોત