રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી મિશ્ર ઋતુ એટલે કે 'ડબલ સિઝન'ને કારણે રોગચાળો વકર્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડા મુજબ, શહેરમાં શરદી, ઉધરસ અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.


તાવ અને શરદી-ઉધરસના કેસોની વણઝાર

ઘટનાની મળતી માહિતી અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ શહેરમાં શરદી-ઉધરસના 933 કેસ અને સામાન્ય તાવના 715 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, દૂષિત પાણી અને ખોરાકને કારણે ઝાડા-ઉલટીના ૨૩૩ કેસ પણ સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો, રાજકોટ શહેરમાં મેલેરિયાનો 1 કેસ પણ પોઝિટિવ નોંધાયો છે, જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

તંત્રની કડક કાર્યવાહી: 176 એકમોને નોટિસ

રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજકોટ મનપા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા કુલ 176 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે શહેરના વિવિધ 835 સ્થળોએ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેથી જળજન્ય રોગચાળાને અટકાવી શકાય.

આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા, તાજો ખોરાક લેવા અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અપીલ કરી છે. મિશ્ર ઋતુ હજુ પણ યથાવત રહેવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં કેસોમાં વધુ વધારો થઈ શકે છે.


આ પણ વાંચો - Rajkot : શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય, ચંદ્ર ગ્રહણના કારણે 2 દિવસ મંદિર બંધ રહેશે


  • Follow us on: