શહેરમાં ઉનાળાની શરૂઆત પૂર્વે જ પીવાના પાણી અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી મિનરલ વોટરના નામે અશુદ્ધ પાણી પધરાવવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા.


નામાંકિત બ્રાન્ડના નમૂના લેવાયા

આ કામગીરી દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા બજારમાં પ્રચલિત એવી 6 જેટલી જુદી-જુદી પાણીની બોટલોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં બિસલેરી (Bisleri), દાવત (Dawat), અને ક્લિયર (Clear) જેવી નામાંકિત બ્રાન્ડ્સનો પણ સમાવેશ થાય છે. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ નમૂનાઓ રિપોર્ટમાં ફેલ જશે અથવા તો તેમાં નિર્ધારિત માનકો કરતા ઓછી શુદ્ધતા જણાશે, તો સંબંધિત કંપનીઓ અને વિક્રેતાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખાણીપીણીના એકમો પર તપાસનો ધમધમાટ

માત્ર પાણી જ નહીં, પરંતુ ફૂડ વિભાગે શહેરના પ્રખ્યાત ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં પણ ચકાસણી હાથ ધરી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાઓ પર વપરાતા તેલ, મસાલા અને અન્ય સામગ્રીની ગુણવત્તા તપાસવામાં આવી રહી છે. મનપાની આ કાર્યવાહીને પગલે ભેળસેળ કરતા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

તંત્રની કડક ચેતવણી

મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે અને લાયસન્સ વગર કે નિયમોના ઉલ્લંઘન સાથે ચાલતા એકમોને સીલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ શકે છે.

આ પણ વાંચોઃ ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મોડલ, જુઓ Photo


  • Follow us on: