રાજકોટના કોઠારીયા સોલ્વેન્ટ વિસ્તારમાં ગત 26 ફેબ્રુઆરીના રોજ થયેલી હિંસક અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાન હૈદર અંસારીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. જે ઘટના માત્ર મારામારી તરીકે નોંધાઈ હતી, તે હવે હૈદરના અવસાન બાદ 'હત્યા' (મર્ડર) ના ગુનામાં પરિવર્તિત થઈ છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો છે અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.


26 ફેબ્રુઆરીએ કોઠારીયામાં થઇ હતી બબાલ

માથાકૂટનું કારણ માત્ર બાઈક મોડું આપવા જેવી સામાન્ય બાબત હતી. આ નજીવી તકરાર ઉગ્ર બની હતી અને સામા પક્ષના શખ્સોએ હૈદર અંસારી પર ધોકા અને છરી જેવા જીવલેણ હથિયારો વડે નિર્મમ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં હૈદરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તે જિંદગીની જંગ હારી ગયો છે.

રાહુલ, ઇમરાન, મહેશ, હરેશ વિરુદ્ધ હત્યાનો ગુનો

પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા ચાર શખ્સો રાહુલ, ઇમરાન, મહેશ અને હરેશ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ચારેય શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને હુમલો કર્યો હોવાની આશંકા સાથે પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. રાજકોટ શહેરમાં વધતા જતા ગુનાખોરીના ગ્રાફ વચ્ચે આ વધુ એક હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: