રાજકોટમાં વી.એમ. મહેતા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓએ ફી વધારા સામે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રપોઝ્ડ ફીના નામે 60 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં વિરોધ કરતા વિદ્યાર્થીઓ સામે કોલેજના પ્રિન્સિપાલ દાદાગીરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ કોલેજના પ્રિન્સિપાલે એક વીડિયો મારફતે નિવેદન આપ્યું છે.
દાદાગીરીનો વીડિયો વાયરલ થવા મુદ્દે પ્રિન્સિપાલનું નિવેદન
રાજકોટમાં આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ રવિકાંત ગોયલે એક વીડિયો મારફતે કહ્યું હતું કે, સાંસદ કે મંત્રીનું અપમાન કરવાનો મારો ઇરાદો ન હતો.વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યને નુકસાન કરી રહ્યાં હતા.અમે વિદ્યાર્થીઓને સાંભળવા માટે તૈયાર હતા.મારો ઉદ્દેશ સંસ્થામાં શિસ્ત જળવાઇ રહે તે હતો. વિધાર્થીઓ કહી રહ્યા હતા કે સાંસદ અને મંત્રીના સંપર્કમાં છીએ તમારી ફરિયાદ કરીશું.













