રાજકોટમાં સૂર્યકિરણ ટીમનો અદ્ભુત એર શો જોવા માટે ઉમટેલા એક લાખથી વધુ શહેરીજનોને તેના પૂર્ણ થયા બાદ જબરદસ્ત ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. એર શો પૂર્ણ થયા પછી લોકો પોતાના ઘરે જવા નીકળતાં, અટલ સરોવરથી રાજકોટ શહેર તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ
રાજકોટ શહેરમાં આવેલા અટલ સરોવરથી શહેર તરફ બે થી અઢી કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો આ ભયંકર ટ્રાફિકમાં અંદાજિત એક થી બે કલાક સુધી અટવાઈ પડ્યા હતા. ટ્રાફિકની ગંભીરતા દર્શાવતા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં રસ્તાઓ પર વાહનોની ગીચતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. એર શોની સફળતા બાદ ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.













