મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે હાલમાં જ એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ ગીરના જંગલની શિસ્તબદ્ધ વ્યવસ્થા અને વન્યજીવ સંરક્ષણની પદ્ધતિઓ જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૈયાર કરેલા વન મોડલ અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મેનેજમેન્ટના મુક્ત કંઠે વખાણ કર્યા હતા.
CM મોહન યાદવે ગીરની શિસ્તબદ્ધ વ્યવસ્થા જોઈ
મુખ્યમંત્રી યાદવે જણાવ્યું હતું કે, સિંહોના રક્ષણ માટે ગુજરાતની શિસ્ત બેમિસાલ છે. તેમણે સાસણની વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીના સ્વાદ અને સિંહોના સંરક્ષણ માટે ચાલી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. ખાસ કરીને વન વ્યવસ્થાપન અને ઇકો-ટૂરિઝમ વચ્ચે જે સંતુલન ગુજરાત સરકારે જાળવ્યું છે, તે ખરેખર લાજવાબ છે. તેમણે મીડિયા સમક્ષ વિદેશી પ્રવાસીઓના ગીર પ્રત્યેના આકર્ષણ વિશે પણ વાત કરી હતી અને ગીરના આ સફળ મેનેજમેન્ટના પાઠ હવે મધ્યપ્રદેશમાં પણ લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.













