સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામે ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવેલા કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આસપાસમાં જ સરકારી સંસ્થાઓ આવેલી હોવાથી મોટી જાનહાનિ થવાની શક્યતા હતી, પરંતુ સમયસૂચકતાને કારણે અનિચ્છનીય બનાવ ટળ્યો હતો.
આંગણવાડીના બાળકોનો આબાદ બચાવ
આગ લાગી તે કચરાના ઢગલાની બિલકુલ નજીક જ પંચાયત ઘર અને આંગણવાડી આવેલી છે. આગની જ્વાળાઓ પ્રસરે તે પહેલા આંગણવાડીના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી તમામ બાળકોને તાત્કાલિક ઘરે મોકલી દીધા હતા. નોંધનીય છે કે, આ વિસ્તારમાં જ સરકારી શાળા, દૂધ ડેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલા છે, જેના કારણે આગ વધુ વિકરાળ બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.













