સુરત શહેરમાં લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એક્શન મોડમાં આવ્યું છે. શહેરના અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમોએ ઓચિંતા દરોડા પાડીને ગંદકી અને અસ્વચ્છ વાતાવરણમાં બનાવવામાં આવતી પાણીપુરીના કેન્દ્રો પર સપાટો બોલાવ્યો હતો.
ગંદકી વચ્ચે બનતી પાણીપુરી પર કાર્યવાહી
સમગ્ર રાજ્યમાં ખોરાકની ગુણવત્તા તપાસવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અંદાજે 4 હજાર જેટલા પાણીપુરીના વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી છે. સુરતમાં પણ આ કાર્યવાહીના ભાગરૂપે જાહેર માર્ગો પર દબાણ કરીને ઉભા રહેતા પાણીપુરીના સ્ટોલ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન અનેક જગ્યાએ અખાદ્ય તેલ, સડેલા બટાકા અને દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું.













