સુરત મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત થોડા દિવસો પહેલા ત્રણ જગ્યાએ લેવામાં આવેલા સેમ્પલો પૈકી ઘીના ત્રણ સેમ્પલ અનસેફ નીકળ્યા હતા, જ્યારે ત્રણ આઇસક્રીમના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા હતા. પાલિકાનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ફૂડ વિભાગે દૂધ પ્રોડક્ટનું વેચાણ કરતી સંસ્થાઓ સામે છેલ્લા દિવસોમાં અનેક સ્થળો પર કાર્યવાહી કરી છે. જેમાં સફળતા પણ મળી છે.
સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી
કેટલાક સ્થળો પર ઘી અને પનીરના સેમ્પલો પણ ફેલ સાબિત થતા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જ ફૂડ વિભાગે ત્રણ ડેરીઓમાંથી ચાર ઘી અને બે આઈ સક્રીમના સેમ્પલ લીધા હતા. જે પૈકી કોસાડ ગામના ન્યૂ આદીનાથ ડેરી પ્રોડક્ટમાંથી લેવામાં આવેલા શ્રી માઉલી ગોલ્ડ ઘી પ્રીમિયમ કાઉ ઘી, મોતીરાજ દેશી પ્રીમિયમ ઘી અને મોતીરાજ પ્રીમિયમ કાઉ ઘીનો સેમ્પલ અનસેફ જાહેર કરાયા હતા. જ્યારે શાશ્વત પ્રીમિયમ કાઉ પ્યોર ઘી બીટા સીટોસ્ટોરેલની હાજરી હોવાથી સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો.













