દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 45 વર્ષીય ઇજનેર દીપકભાઈ વાઘેલાનું ઉધના વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડિંગમાં નિરીક્ષણ દરમિયાન પહેલા માળેથી પટકાતા કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મનપાના કર્મચારીઓ અને ઈજનેરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉધના-બમરોલી રોડ પર આવેલા ભીડભંજન વિસ્તારમાં 'લબ્ધિ ઇન્દ્રા' નામની નવી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સુરત મનપાના ઇજનેર દીપક વાઘેલા કામકાજ અર્થે આ બિલ્ડિંગની મુલાકાતે ગયા હતા. બિલ્ડિંગ હજુ નિર્માણ હેઠળ હોવાથી અંદરના ભાગે પૂરતી લાઈટની વ્યવસ્થા ન હતી. અંધારું હોવાને કારણે તેઓ લિફ્ટ માટે છોડવામાં આવેલા ખુલ્લા પેસેજને જોઈ શક્યા નહીં અને અચાનક સંતુલન ગુમાવતા પહેલા માળેથી સીધા નીચે પટકાયા હતા.













