કહેવાય છે કે "પોલીસ પ્રજાનો મિત્ર છે", અને આ સૂત્રને સુરત પોલીસે આજે હજીરામાં સાર્થક કરી બતાવ્યું છે. હજીરા વિસ્તારમાં તાજેતરમાં જ જે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, આજે તે જ શ્રમિકો સાથે સુરત પોલીસના જવાનોએ ધામધૂમથી ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. આ અનોખા અંદાજે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.
કડવાશ ભૂલીને પ્રેમનો ગુલાલ
થોડા સમય પહેલા હજીરામાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ પોલીસ અને શ્રમિકો વચ્ચે જે તણાવ અને અંતર ઊભું થયું હતું, તેને ઘટાડવા માટે સુરત પોલીસે આ અનોખો માર્ગ અપનાવ્યો હતો. પોલીસ જવાનોએ શ્રમિકોના ઘરે અને વસાહતોમાં જઈ તેમને ગુલાલ લગાવ્યો હતો અને મીઠાઈ વહેંચી હતી. શ્રમિકોએ પણ પોલીસના આ બદલાયેલા અંદાજને આવકારી ખુશી-ખુશી પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતા.













