સુરત મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે અત્યારે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત લિંબાયત ઝોન દ્વારા આજે આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરતા મિલકતદારો સામે પાલિકાએ લાલ આંખ કરી છે. સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરીને 5 જેટલા માર્કેટની કુલ 107 દુકાનોને મનપા દ્વારા સીલ કરી દેવામાં આવી છે.
સીલિંગની કાર્યવાહીથી ફફડાટ
સુરત શહેરના લિંબાયત ઝોનની ટેક્સ વિભાગની ટીમે સવારથી જ અલગ-અલગ વિસ્તારોમાં તવાઈ બોલાવી હતી. જે વેપારીઓએ અનેક નોટિસો આપ્યા બાદ પણ વેરાની ભરપાઈ કરી ન હતી, તેમની દુકાનો પર સીલ મારવામાં આવ્યું હતું. આ જોરદાર કાર્યવાહીને પગલે આસપાસના અન્ય વેપારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાની કડક કાર્યવાહીના પડઘા રૂપે અનેક વેપારીઓએ પોતાની મિલકતો સીલ થતી બચાવવા માટે સ્થળ પર જ ટેક્સ ચૂકવવાની તૈયારી બતાવી હતી.













