સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં આજે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી આ મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સની બાજુમાં એક ખુલ્લું મેદાન આવેલું છે. આજે સવારે જ્યારે રાહદારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર એક યુવકના મૃતદેહ પર પડી હતી. આ બનાવની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેબનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

મૃત્યુનું રહસ્ય અકબંધ

આ યુવકનું મૃત્યુ કુદરતી છે કે તેણે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે, તે બાબત હાલ એક રહસ્ય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને ગુમ થયેલા વ્યક્તિઓની યાદી સાથે મેળવવાની તજવીજ શરૂ કરી છે જેથી મૃતકની ઓળખ કરી શકાય.

આ પણ વાંચો - Surat: લિંબાયત વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પરિવાર દ્વારા એટ્રોસિટી ગુનો દાખલ કરવાની માગ



  • Follow us on: