ન્યાયતંત્રને ગેરમાર્ગે દોરનારા સાક્ષીઓ માટે સુરત કોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. હત્યાના એક ગંભીર કેસમાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યા બાદ કોર્ટમાં પોતાની જુબાનીથી ફરી જનારા 6 સાક્ષીઓને કોર્ટે 6 માસની કેદ અને દંડની સજા ફટકારી છે.


પોલીસમાં જુબાની આપીને કોર્ટ સમક્ષ ફરી ગયા હતા

સુરતમાં બનેલી એક હત્યાની ઘટનામાં આ છ વ્યક્તિઓ મુખ્ય સાક્ષી હતા. તપાસ દરમિયાન તેમણે પોલીસ સમક્ષ આરોપી વિરુદ્ધ સ્પષ્ટ જુબાની આપી હતી, પરંતુ જ્યારે કેસ કોર્ટમાં ચાલવા પર આવ્યો ત્યારે આ સાક્ષીઓ 'હોસ્ટાઈલ' (ફરી ગયા) થયા હતા અને આરોપીને ઓળખવાનો કે ઘટના વિશે જાણવાનો ઇનકાર કર્યો હતો. સાક્ષીઓના ફરી જવાથી આરોપી છૂટી જવાની ભીતિ હતી.

આરોપીની ફરી ધરપકડ કરી જેલ કસ્ટડીમાં મોકલાયા

સરકારી વકીલ અને પોલીસની સતર્કતાને કારણે આ કેસને ફરીથી રીઓપન કરવામાં આવ્યો હતો. તમામ સાક્ષીઓને ફરીથી સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા અને તેમના નિવેદનો ફરી લેવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે સાક્ષીઓએ જાણીજોઈને ન્યાયની પ્રક્રિયામાં અવરોધ ઊભો કર્યો હતો અને ખોટી જુબાની આપી હતી. કોર્ટે તમામ 6 સાક્ષીઓને 6 માસની કેદ અને રૂ.300નો દંડ ફટકાર્યો છે. સાક્ષીઓની ફેર-તપાસ બાદ મુખ્ય આરોપીની ફરી ધરપકડ કરી તેને જેલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: