સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એફિલ ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા 44 વર્ષીય પરિણીતા સીમાબેન વાઘાણીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ આપઘાત હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ સીમાબેનના પિયર પક્ષ તરફથી આ ઘટનાને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે તેની બહેનને લાંબા સમયથી સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી.
વરાછામાં ચકચાર
પરિવારના જણાવ્યા અનુસાર, સીમાબેનનો પતિ તેમને અવારનવાર ટોર્ચર કરતો હતો, જેના કારણે તે ભારે માનસિક તણાવમાં રહેતી હતી. અંતે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને સીમાબેને મોતને વહાલું કર્યું હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ મામલે વરાછા પોલીસે હાલમાં ગુનો નોંધીને પિયર પક્ષના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે. સાસરિયા પક્ષના સભ્યોની પૂછપરછ બાદ જ આપઘાતનું સાચું કારણ અને તેમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા સ્પષ્ટ થશે. પોલીસ હાલ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.













