સુરતના પાલ વિસ્તારમાં પત્ની સાથેના ઝઘડા અને કૌટુંબિક કંકાસના અંતે એક યુવકે પોતાની જાતે સળગી જઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક સંતોષે ગઈકાલે બપોરે જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પત્ની આશાબેને પતિ સંતોષ વિરુદ્ધ અગાઉ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસ અને મારપીટની અરજી આપી હતી.


પત્ની આશાએ પતિ સંતોષ વિરુદ્ધ અરજી આપી હતી

ગત 31 જાન્યુઆરીના રોજ સંતોષે પત્ની પાસે રૂ.7,000ની માંગણી કરી હતી. પત્નીએ પૈસા આપવાની ના પાડતા સંતોષે ઉશ્કેરાઈને પત્ની અને તેની બંને દીકરીઓને ઢોર માર માર્યો હતો. પતિના સતત ત્રાસ અને હિંસાથી કંટાળીને પત્ની આશાબેન પાલ વિસ્તારમાં રહેતા પોતાના ભાઈના ઘરે રહેવા જતી રહી હતી. ગઈકાલે બપોરે સંતોષ પત્નીના ભાઈના ઘરે પહોંચ્યો હતો.

પત્ની પોતાના ભાઇના ઘરે રહેવા જતી રહી હતી

ત્યાં કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર તેણે અચાનક પોતાની સાથે લાવેલું જ્વલનશીલ પ્રવાહી શરીર પર છાંટ્યું અને પોતાની જાતે સળગી ગયો હતો. ગંભીર રીતે દાઝેલી હાલતમાં તેને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હાલ આ સમગ્ર મામલે પાલ પોલીસે અકસ્માતે મોત (AD) નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પત્ની અને પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: