સુરતના પાલ વિસ્તારમાં પારિવારિક કંકાસની એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં પત્ની અને સાસરી પક્ષ દ્વારા કરવામાં આવતી નાણાની અવારનવારની માંગણીથી કંટાળીને 53 વર્ષીય આધેડે પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝેલા આધેડનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.


28 વર્ષથી સાસરીમાં રહેતા હતા આધેડ

ઘટનાની મળતી માહિતી મુજબ, મૃતક સંતોષભાઈ (ઉં.વ. 53) છેલ્લા 28 વર્ષથી પોતાની પત્નીના ઘરે એટલે કે સાસરીમાં જ રહેતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમની પત્ની અને પત્નીના ઘરના સભ્યો દ્વારા તેમની પાસે અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. આ નાણાકીય માથાકૂટને કારણે ઘરમાં સતત ક્લેશ અને ઝઘડાનું વાતાવરણ રહેતું હતું.

પેટ્રોલ છાંટી જાતને જલાવી

ગતરોજ સાંજે ફરી એકવાર પત્ની સાથે પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માનસિક ત્રાસ સહન ન કરી શકતા સંતોષભાઈએ આવેશમાં આવી જઈ પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું અને આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.




સારવાર કારગત ન નીવડી

સંતોષભાઈ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમની હાલત નાજુક હતી. ડોક્ટર્સના સતત પ્રયત્નો છતાં આખરે તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પત્ની અને સાસરી પક્ષના ત્રાસથી કંટાળીને આધેડે ભરેલા આ પગલાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો - Surat News: પાંડેસરા પોલીસની બર્બરતા! યુવકને ઢોર માર મારી પૈસા પડાવ્યા


  • Follow us on: